અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ચકચારી ઘટના સામે આવી હતી. અહીં એક માતાએ પોતાની જ પુત્રીને ફેંકી દીધી હતી. પેટલાદની પરિણીતાએ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાં 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે આ દરમિયાન પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી. જેથી તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના પેટલાદના રાવલી ગામમાં રહેતા આસિફમિયાં મલેક તેની પત્ની ફરજાનાબાનુ સાથે રહે છે. બે માસ પહેલાં જ પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મતાંની સાથે જ દીકરી બીમારીથી પીડાતી હોવાથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. ત્યારે તબીબે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી તકલીફ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ફરી આંતરડાનો ભાગ બહાર આવતાં દીકરીને નડિયાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.
ત્યાં પણ કોઈ ફરક ન પડતાં દીકરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે સવારના સમયે આસિફમિયાંએ ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી અમરીનબાનુ ન હતી. તેમણે હોસ્પિટલના સીસીટીવી ચેક કરાવ્યા ત્યારે તેની પત્ની ફરજાનાબાનુ તેની દીકરીને લઈને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી તેઓ તાત્કાલિક નીચે દોડીને જતાં દીકરીનું મોત નીપજ્યું હતું, જેથી આ બાબતે ફરજાનાબાનુની પૂછપરછ કરતાં દીકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેણે ત્રીજા માળેથી તેને ફેંકીને દીધી હોવાનું જણાવ્યું હતું. આ મામલે પતિ આસિફમિયાંએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.